સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ! સુસાઇડ નોટમાં વ્યાજખોર વિશે લખી આવી વાત.... - Tilak News
સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ! સુસાઇડ નોટમાં વ્યાજખોર વિશે લખી આવી વાત….

સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ! સુસાઇડ નોટમાં વ્યાજખોર વિશે લખી આવી વાત….

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક રત્નકલાકારે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને અને આર્થિક ભીંસમાં આવીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તે પણ દોડતી થઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં કરવામાં આવેલ ઉલ્લેખ અનુસાર આપઘાત કરનાર રત્નકલાકાર 1 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વ્યાજના વિષચક્રનો ભોગ બન્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને આપઘાત પાછળ દુષ્પ્રેરણાનો ગુનો, મની લોન્ડરિંગનો ગુનો અને છેતરપિંડીનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે વહેલી સવારે રત્નકલાકારે આપઘાત કર્યો હોવાની જાણ પોલીસને થઈ હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસ દ્વારા કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે, અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

અંતિમ ચિઠ્ઠીમાં કમલેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા. હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વાહલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને આ હિરેનને આપી હતી. ત્યારબાદ જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા પણ આપતો ન હતો અને કમાણી પણ કરીને આપતો ન હતો.

જૂનાગઢમાં રહેતા હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા માટે જણાવી દીધું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના પૈસા પોતે ચૂકવી દેશે તેવું હિરેને જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. તો સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને તે પૈસા માટે દબાણ કરતો હતો.

કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવું પણ સામે આવ્યું છે કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના બે મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. આ ઉપરાંત પોતાના સુસાઈડ નોટમાં કમલેશ રાદડિયાએ તેમના પર પૈસા માટે દબાણ કરાતું હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મહત્વની વાત છે કે, કમલેશ રાદડિયાએ કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેની માહિતી હજુ સુધી મળી નથી. આ ઉપરાંત કેટલા રૂપિયા વ્યાજ લીધા છે તે બાબતે પરિવારના સભ્યોને પણ કોઈ માહિતી આપી નથી. તો બીજી તરફ વ્યાજખોરો અને સોની દ્વારા જે દબાણ કરવામાં આવતું હતું તેને લઈને મૃતક કમલેશ રાદડિયા દ્વારા પોલીસનો પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.