12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સરકારી ભરતીઓને લઈ અનેક સવાલો સામે આવી રહ્યાં છે. તેમાં પણ ગૃહમંત્રીએ પેપર ફૂટ્યું હોવાની વાત સ્વીકારતા જ હોબાળો થયો છે.
હેડ કલાર્ક પરીક્ષાના પેપર કાંડમાં મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બનતા અંતે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાનું જાણવા મળ્યું હતું . જે અંગેની જાહેરાત હજુ સુધી થઈ નથી.
વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કાયદેસર પગલા ભરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી દીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી કેમ્પેન પણ શરૂ થયું હતું . હેડ કલાર્ક પેપરલીક કાંડમાં હજુ કોઈ એક્શન લેવામાં આવી નથી. આપ અને કોંગ્રેસના જણાવ્યા મુજબ આ બધું તંત્રની રહેમ નજરમાં થયું છે.
આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે, અમારા નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યાં છે. જેમાં ઘણી મહિલા કાર્યકરો પણ હતી. આ 28 મહિલાઓની કોર્ટે જામીન અરજી મંજુર કરતાં તેઓ જામીન પર મુક્ત થઈ ગઈ છે. પરંતુ હજી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત 60થી વધુ નેતાઓ સાબરમતિ જેલમાં જ રાખ્યા છે.
આ નેતાઓને બહાર કાઢવા માટે જામીન અરજીની માંગણી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં કરવામાં આવશે. વધુમાં એવી ચીમકી અપાઈ હતી કે જો આસિત વોરાનું રાજીનામુ નહિ લેવામાં આવે તો ખુદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને આંદોલન કરશે.